સોમવાર, 14 ઑક્ટોબર, 2013

શિક્ષકો 'કાયમી રક્ષણ'ના ઈન્તજારમાં


ગુજરાતમાં શિક્ષણ સંલગ્ન પડતર પ્રશ્નોની સંખ્યા વધતી જાય છે ને સરકાર વતી ફક્ત હૈયાધારણ જ આપવામાં આવે છે. સરકારની અણઘડ નીતિને કારણે વર્ગખંડો બંધ થવાની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે ૧૯૯૮ પછી જેમની ભરતી થઈ હતી તેવા આચાર્યો, શિક્ષકો સહિતના વહીવટી સ્ટાફ ફાજલ થાય તેવી સ્થિતિ ઉભી થઈ હતી. આથી જેમની નોકરી પર 'આફત' છે તેવા ૨૫૦૦૦ શિક્ષકો સહિતનો શાળાકીય સ્ટાફ નોકરીમાં કાયમી રક્ષણનો ઈન્તજાર કરી રહ્યો છે.

  • શિક્ષણ સંબંધિત પ્રશ્નો ઉકેલવામાં સરકારનું ઉદાસીન વલણ

  • શિક્ષણ વિભાગના ઠરાવનું ડીઈઓ જ પાલન કરતા નથી

  • પડતર પ્રશ્નો દિવાળી પહેલાં ઉકેલવા મંત્રીની હૈયાધારણ

આ ઉપરાંત પણ શિક્ષકોના અનેક પડતર પ્રશ્નો છે. આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સ્કૂલ કમિશનર અને શિક્ષણ સચિવ સમક્ષ તાજેતરમાં ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પંકજ કે.પટેલ સહિતના હોદ્દેદારોએ રજૂઆત કરી હતી જેના અનુસંધાનમાં શિક્ષણમંત્રીએ તમામ પડતર પ્રશ્નો દિવાળી પહેલા ઉકેલવાની હૈયાધારણ આપી હતી.

રાજ્યના શિક્ષકોને નિવૃતિ સમયે ૩૦૦ રજાનું રોકડમાં રૂપાંતર આપવાનો ઠરાવ સરકારમાં થયો હતો અને તા.૧૬-૭-૧૯૯૯ અનુસાર રજાનં રોકડમાં વળતર મળતું હતું. જેનું ખોટું અર્થઘટન કરીને ૧૫૦ રજાનું રોકડમાં રુપાંતર કરતાં હતાં. જોકે, રજૂઆતો બાદ શિક્ષણ વિભાગે તા.૨૬-૩-૨૦૧૨ના રોજ ૩૦૦ રજાનું રોકડમાં રુપાંતર કરવા અંગે ઠરાવ કર્યો હતો પરંતુ શિક્ષણ વિભાગના આ ઠરાવનું પાલન જિલ્લા શિક્ષણાધિકારીઓ જ કરતા નથી. આ બાબતને લઈને શિક્ષકોમાં રોષ ફેલાયો છે.

સરકારી કર્મચારીઓને ટ્રાન્સપોર્ટ એલાઉન્સ આપવામાં આવે છે પરંતુ ટ્રાન્સપોર્ટ એલાઉન્સના નિયમનો અમલ ગ્રાન્ટ-ઈન-એઈડ શાળાના શિક્ષકો માટે થતો નથી.

મુખ્યમંત્રીએ કરેલી જાહેરાતનું પાલન કરવામાં પણ ઠાગાઠૈયા

શિક્ષકોને હાલ ૧૦૦ રુપિયા મેડીકલ એલાઉન્સ મળે છે, તેને બદલે મેડિકલ એલાઉન્સ રુપિયા ૩૦૦ આપવાની જાહેરાત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તા.૩-૧૦-૨૦૧૨ના રોજ જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ કરેલી આ જાહેરાતનું પાલન પણ નાણાં વિભાગ કરતું નથી. આ અંગે શિક્ષક મહામંડળે શિક્ષણમંત્રી સમક્ષ રજૂઆત કરી છે. (SANDESH NEWS)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો